
મળતી માહિતી મુજબ વરાછા મીનીબજાર ખાતે આવેલાં મહાદેવનગર માં એમ્બરોઇડરીનુ ખાતુ આવેલું છે. દરમ્યાન ગત રાત્રે 10.30 વાગ્યાની આસપાસ ખાતામાં અચાનક આગ લાગી હતી. આગની ઘટનાને પગલે સ્થળ ઉપર હાજર લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. ઘટના અંગે જાણ કરવામા આવતા કાપોદ્રા, પુણા અને સરથાણા ફાયર સ્ટેશન થી ફાયર જવાનોનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગ ઉપર કાબુ મેળવવાની કવાયત હાથ ધરી હતી. વધુમાં ફાયર ઓફિસર સુધીર ગઢવીએ જણાવ્યું હતું કે શોર્ટ સર્કિટ ને લીધે મશીનમાં આગ લાગી હતી. આગ ની ઘટના બની ત્યારે ખાતું બંધ હતું. જોકે થોડા સમયમાં જ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આગને કારણે મશીનરીને નુકસાન થયું હતું. જોકે મોટી ઘટના સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ આગને કાબુમાં કરી લેવામાં આવી હતી.